શામળાજીમાં જન્માષ્ટમીની ઉજવણી માટે તૈયારીઓ પૂર્ણ:મંદિર પરિસરમાં આસોપાલવના તોરણ, નગરમાં શોભાયાત્રા દરમિયાન 100 મટકીફોડનો કાર્યક્રમ
આવતીકાલે સમગ્ર રાજ્યના કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીનો તહેવાર ઉજવાશે. યાત્રાધામ શામળાજીમાં પણ આ ઉત્સવ ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવવા માટે તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરને આસોપાલવ, કેળ, વાંસ અને આંબાના પાનના તોરણોથી શણગારવામાં આવ્યું છે. સાથે જ, મંદિરને રોશનીથી પણ સજાવાયું છે. જન્માષ્ટમીના શુભ અવસરે ભગવાનના નિજ મંદિરને અમદાવાદના રામી કલાકરો દ્વારા ફૂલોથી શણગારવામાં આવશે. આ માટે 100 કિલોથી વધુ ફૂલોનો ઉપયોગ કરાશે. ભગવાન શામળિયા માટે ખાસ વાઘા પણ તૈયાર કરવામાં આવ્યા છે, જે તેમને પહેરાવીને શણગાર કરાશે. શામળાજીમાં ગામના યુવાનો દ્વારા પણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરાશે. આ માટે ગામ અને બજારને આસોપાલવ અને 100થી વધુ મટકીઓથી શણગારવામાં આવશે. સવારે 10 વાગ્યા પછી શ્રી કૃષ્ણ ભગવાનની શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રામાં 200 કિલો અબીલ ગુલાલ ઉડાડવામાં આવશે. બેન્ડની સુરાવલી વચ્ચે નીકળનારી આ યાત્રામાં હજારો ભક્તો જોડાશે. આ સમયે "હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલકી"ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠશે. યુવાનો આ માટે પણ તૈયારીઓમાં લાગી ગયા છે. દિવસ દરમિયાનની ઉજવણી પછી સાંજે ભગવાનના જન્મોત્સવ નિમિત્તે મંદિર પરિસરમાં ભજન સંધ્યાનું આયોજન કરાયું છે. સાંજથી રાત સુધી ચાલનારી આ ભજન સંધ્યામાં અમદાવાદના ભજનિક કલાકરો કૃષ્ણભક્તિના ભજનો રજૂ કરશે. જન્માષ્ટમીના દિવસે મંદિરના કાર્યક્રમો અને સમયપત્રક આ મુજબ રહેશે: મંદિર સવારે 6 કલાકે ખુલશે. મંગળા આરતી સવારે 6-45 કલાકે થશે. શણગાર આરતી સવારે 8-30 કલાકે થશે. રાજભોગ ધરાવવાનો સમય સવારે છે, તે દરમિયાન મંદિર બંધ રહેશે. મંદિર સવારે 11-30 કલાકે ફરી ખુલશે. રાજભોગ આરતી બપોરે 12-15 કલાકે થશે. મંદિર બપોરે12-30 કલાકે બંધ થશે. ઉત્થાપન માટે મંદિર બપોરે 2-15 કલાકે ખુલશે. સંધ્યા આરતી સાંજે 7-15 કલાકે થશે. શ્રીકૃષ્ણ જન્મોત્સવ રાત્રે 12 કલાકે ઉજવાશે. જન્મોત્સવ મહા આરતી રાત્રે 12-30કલાકે થશે. મહામહાભોગ રાત્રે 12-45 કલાકે ધરાવાશે. શયન આરતી રાત્રે 1 કલાકે થશે. મંદિર મંગલ રાત્રે 1-15 કલાકે થશે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0